જૈન ભૂગોળ

Monday 7 January 20130 comments

ચરમ તીર્થપતિ શ્રી ભગવાન મહાવીરે કેવલજ્ઞાન થયા પછી ધર્મની સ્થાપના કરી. જગતના સર્વ જીવોને પોતાના આત્મ સ્વરૂપના દર્શન કરાવ્યા. કોઈપણ જીવ જે પણ કઈ પાપ - પુણ્ય કરે છે તે પ્રમાણે તે સંસારમાં અલગ - અલગ યોનીમાં જન્મ લે છે. પુણ્યશાળી જીવાત્માઓ દેવલોક અને મનુષ્યપણાને પામે છે, અને જે જીવાત્માઓ રાગ,દ્વેષ, મોહ,માયા આદિ અવગુણોને વશ થઇ પાપ કર્મો બાંધે છે, તે તીર્યંચ અને નારકમાં ઉત્પન્ન થાય છે.

ભગવાન મહાવીરે આત્મસ્વરૂપના દર્શન કરાવ્યા તેમ એમણે સંસારના સ્વરૂપના પણ દર્શન કરાવ્યા છે.
ભગવાન મહાવીરે સંસારને ચૌદ લોકમાં વિભાજીત બતાવ્યું છે. જેને ચૌદ રાજલોક કહે છે. જે પણ જીવરાશી સંસારમાં છે તે આજ ચૌદ લોકમાં છે. ચૌદ રાજલોક 'લોકાકાશ' તરીકે ઓળખાય છે, બાકીની ખાલી જગ્યા 'અલોકાકાશ' તરીકે ઓળખાય છે. જે અનંત અને અખંડ છે.



ચૌદ રાજ્લોકનો આકાર બે પગ પહોળા કરી કેડ ઉપર હાથ મૂકી ઉભેલા મનુષ્ય જેવો છે.આ ચૌદ લોક મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત છે.
• ઉર્ધ્વલોક :- જેમાં દેવલોક અને સિદ્ધશીલાનો સમાવેશ થાય છે.
• મધ્યલોક :- જેમાં અઢી દ્વીપ(આપણી પૃથ્વી)નો સમાવેશ થાય છે.
• અધોલોક :- જેમાં નારકનો સમાવેશ થાય છે.

♣ ઉર્ધ્વ લોક :- ઉર્ધ્વ લોક 6 લોકનો બનેલો છે.

સૌથી ઉપર  જે આત્માઓ મોક્ષે ગયા છે, તે મોક્ષ(સિદ્ધ શિલા ) પણ આ જ લોકમાં આવેલી છે. આ સિદ્ધશિલાનો વિસ્તાર 45 લાખ યોજન છે.
તેની નીચે જય, વિજય, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ નામક પાંચ અનુત્તર વિમાન આવેલા છે. જે આત્માઓ 1-8 ભવમાં મોક્ષે જવાના હોય તેઓ જ આ વિમાનોમાં જન્મ લે છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર આત્મા બીજા ભવમાં મનુષ્ય થઇ ચરિત્ર ગ્રહણ કરી પોતાના કર્મો ખપાવી નિશ્ચે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દેવોનું આયુષ્ય 35 સાગરોપમ હોય છે, અને તેમને 35 હજાર વર્ષ સુધી અન્ન ગ્રહણ કરવાની જરૂર પડતી નથી.
તેની નીચે નવ સ્તરમાં થઈને 318 ગ્રેવેયક વિમાનો આવેલા છે. પૂર્વ ભવમાં ચરિત્ર ગ્રહણ કર્યું હોય તેવા આત્માઓ જ આ વિમાનોમાં જન્મ લઈ શકે છે.
તેની નીચે 12 દેવલોક આવેલા છે જેમાં વૈમાનિક દેવો(વિમાનમાં રહેનાર દેવો) રહે છે. આ 12 દેવલોકમાં આપણી જેમ જ રાજા, પ્રજા,મંત્રી, સંત્રી આદિ વ્યવહાર ચાલે છે. આ 12 દેવલોકમાં કુલ 84,97,023 વિમાનો આવેલા છે, જેમાં વૈમાનિક દેવો દૈવી સુખ ભોગવે છે. આ દરેક વિમાનોમાં એક-એક શાશ્વત જિનાલય આવેલું છે, જેમાં ઋષભ, ચંદ્રાનન, વારીષેણ અને વર્ધમાન આ ચાર પ્રભુની પ્રતિમાઓ આવેલી છે. પ્રથમ દેવલોકમા ઉત્પન્ન જીવનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું હોય છે. જેમ જેમ ઉપરના દેવલોકમાં જઈએ તેમ દેવોની ઋદ્ધિ અને આયુષ્ય બંને વધતા જાય છે.

♣અધો લોક :- જેમાં સાત લોક આવેલા છે. જે સાત નારકો છે . આ નારાકોમાં આત્માઓ પોતાના પાપ કર્મોનો નાશ કરવા આવે છે. અહી રહેલા પરમાધામી દેવો અહીના જીવોને અત્યંત દુઃખો આપે છે. દરેક નારક ચાર સ્તરની બનેલી હોય છે. સૌથી નીચેનું સ્તર આકાશનું હોય છે જેમાં આકાશ સિવાય કશું જ હોતું નથી. તેની ઉપર પાતળી હવાનું સ્તર - "તનવાત" હોય છે, તેની ઉપર ઘટ્ટ વાયુ - "ઘનવાત", તેની ઉપર ઘટ્ટ પાણી - સખત પાણીનું સ્તર આવેલું છે જે "ઘનોદધિ" તરીકે ઓળખાય છે.
સાત નારકો :- 
(1) રત્ન પ્રભા:- આ નારકનું નામ "રત્નપ્રભા" છે. તેનો વિસ્તાર 1,80,000 યોજન છે. આ નારકમાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર દેવોના ભવન આવેલા છે. આ નરકના 13 સ્તરોમાં કુલ 30,00,000 નારાકાવાસ આવેલા છે. પ્રથમ સ્તરના મધ્યમાં એક ગોળાકાર સીમાંતક નામે ઇન્દ્રક નારાકાવાસ છે. તેની ચારેય દિશાઓમાં ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળાકાર આદિ 49 નારાકાવાસ છે અને  વિદિશાઓમાં ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળાકાર આદિ 48 નારાકાવાસ છે. ત્રિકોણ નારાકાવાસમાં 3, ચતુષ્કોણ નારકાવાસમાં 4 અને ગોળાકાર નારકાવાસમાં 1 દ્વાર હોય છે. આ ચાર દિશાઓ અને વિદીશાઓમાં આવેલી નારકાવાસની વચ્ચે જુદા જુદા આકારની પુષ્પાવકીર્ણ નારકાવાસ આવેલી હોય છે. બીજા સ્તરમાં દિશાઓમાં 48 અને વિદીશાઓમાં 47 નારકાવાસ અને તેમની વચ્ચે પુષ્પાવકીર્ણ નારકાવાસ આવેલી છે. આ જ રીતે આ નારકના 13માં સ્તરમાં દિશાઓમાં 37 અને વિદીશાઓમાં 36 નારકાવાસ આવેલી છે. જીવનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટમાં 1 સાગરોપમ વર્ષ.

(2) શર્કરા પ્રભા :- આ નારકની ભૂમિમાં કંકણોનો પ્રભાવ વધુ જોવા મળે છે, તેથી તેનું નામ "શર્કરાપ્રભા" છે. તેનો વિસ્તાર 1,32,000 યોજન છે. આ નરકના 11 સ્તરોમાં કુલ 25,00,000 નારકાવાસ આવેલા છે. જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 3 સાગરોપમ વર્ષ.
(3) વાલુકા પ્રભા :-  આ નારકની ભૂમિમાં વિશેષ પ્રમાણમાં રેતીનો પ્રભાવ જોવા મળે છે, તેથી તેનું નામ "વાલુકાપ્રભા" છે. તેનો વિસ્તાર 1,24,000 યોજન છે. આ નરકના 1 સ્તરમાં કુલ 15,00,000 નારકાવાસ આવેલા છે. જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 7 સાગરોપમ વર્ષ.
(4) પંક પ્રભા :- આ નારકમાં વિશેષ પ્રમાણમાં કાદવનો પ્રભાવ જોવા મળે છે, તેથી તેનું નામ "પંક પ્રભા" છે.  તેનો વિસ્તાર 1,20,000 યોજન છે. આ નરકના 7 સ્તરમાં કુલ 10,00,000 નારકાવાસ આવેલા છે. જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 10 સાગરોપમ વર્ષ.
(5) ધૂમ પ્રભા :- આ નારકમાં ધુમ્મસ્સનો પ્રભાવ વધારે છે, તેથી તેનું નામ "ધૂમ પ્રભા" છે.  તેનો વિસ્તાર 1,18,000 યોજન છે. આ નરકના 5 સ્તરમાં કુલ 3,00,000 નારકાવાસ આવેલા છે. જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 17 સાગરોપમ વર્ષ.
(6) તમઃ પ્રભા :- આ નારકમાં અંધકારનો પ્રભાવ વધારે છે, તેથી તેનું નામ "તમઃ પ્રભા" છે.  તેનો વિસ્તાર 1,16,000 યોજન છે. આ નરકના 3 સ્તરમાં કુલ 99,935 નારકાવાસ આવેલા છે.જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 22 સાગરોપમ વર્ષ.
(7) તમઃ તમઃ પ્રભા :- આ નારક ગાઢ અંધકારથી ભરેલી છે. ઉત્કૃષ્ટામાં ઉત્કૃષ્ટ દુઃખો આ નારકના જીવને સહન કરવા પડે છે.  તેનો વિસ્તાર 1,08,000 યોજન છે. આ નારકમાં મધ્યમાં એક "અપ્રતીષ્ઠાનમ" નામક ઇન્દ્રક નારાકાવાસ આવેલ છે. તે 1,00,000 યોજન વિશાળ છે. તેની ચારે તરફ ત્રિકોણાકારના એક-એક નારાકાવાસ આવેલ છે. આમ બધા મળી સાતમી નારકમાં કુલ પાંચ નારકાવાસ આવેલ છે. જીવનું આયુષ્ય ઉત્કૃષ્ટમાં 35 સાગરોપમ વર્ષ.

આમ સાતેય નારકમાં બધા મળી 49 સ્તરમાં ત્રિકોણ, ચતુષ્કોણ, ગોળાકાર અને પુષ્પાવાકીર્ણ એમ કુલ 84,00,000 નારકવાસ આવેલ છે, તેમાં જ નારકી જીવનો જન્મ અને જીવન વ્યતીત થાય છે. આ દરેક નારકાવાસ 3,000 યોજન વિશાળ હોય છે.

દરેક નારકની દિવાલો વજ્રની બનેલી હોય છે. આ દીવાલોમાં જ અંદર મોટા કુંભ આવેલા હોય છે જેનો મધ્ય ભાગ મોટો અને મુખ ભાગ નાનો હોય છે. જેમાં નારકી જીવનો જન્મ થાય છે. પરમાધામી દેવો આ જીવોને તેમાંથી બહાર કાઢે છે, પરંતુ મુખ ભાગ નાનો હોવાથી આ જીવો ના નીકળી શકવાને લીધે ચીસો પાડે છે. પરંતુ પરમાધામી દેવો તેમના ટુકડા કરીને પણ તેમને બહાર કાઢે છે. દરેક જીવોનું શરીર પારા જેવું હોવાથી દરેક ટુકડા પાછા જોડીને એક શરીર બની જાય છે.

 છેલ્લી ચાર નારકોમાં જીવો પોતાના કર્મોની સજા આપસમાં એક બીજાને દુઃખ આપીને સહે છે. તેમાં પરમાધામી દેવો સજા આપતા નથી. આ નારકોમાં પૂર્વ ભવમાં જે આત્મા તીવ્ર ક્રોધી, અહંકારી, યુદ્ધખોર, કામી, પરસ્પર વેર રાખવા વાળો હોય આદિ ખૂંખાર વૃત્તિ ધરાવનાર હોય તે જન્મ લે છે. આ જીવો પાસે બીજા જીવોને હેરાન કરવામાટે બીજું ભયાનક રૂપ ધારણ કરવાની તેમજ શાસ્ત્રો ઉત્પન્ન કરવાની અને લડવાની શક્તિ હોય છે.

વીડિયો :-  ત્રણ લોકનું સ્વરૂપ નારક દર્શન-1 નારક દર્શન - 2

♣ મધ્યલોક :-


આ લોક અસંખ્ય દ્વીપોનો બનેલો છે, પણ મનુષ્ય અને તીર્યંચ ફક્ત અઢી દ્વિપમાં જ રહે છે. અઢી દ્વીપમાં પંદર ક્ષેત્રો આવેલા છે, જેમાં મનુષ્યો રહી શકે છે.  પાંચ ભરત ક્ષેત્રો,પાંચ ઐરાવત ક્ષેત્રો,પાંચ મહાવિદેહ ક્ષેત્રો.

જમ્બૂ દ્વીપ :-

♦ મધ્યમાં જમ્બૂ દ્વીપ આવેલો છે. આ દ્વિપમાં જાંબુના વૃક્ષોનું પ્રમાણ વિશેષતઃ જોવા મળે છે. આથી તે જમ્બૂદ્વીપ નામે ઓળખાય છે.
♦ જમ્બૂદ્વીપની મધ્યમાં એક લાખ યોજન(1 યોજન = 3200 માઈલ)નો મેરુ પર્વત આવેલો છે.મેરુ પર્વતના તળેટીના સમભૂતલાથી 790 યોજન ઉંચે તારામંડળ, ત્યાંથી 10 યોજન ઉંચે સૂર્યનું વિમાન, ત્યાંથી 80 યોજન ઉંચે ચંદ્રનું વિમાન, ત્યાંથી 4 યોજન ઉંચે શુક્રનું વિમાન, ત્યાંથી 3 યોજન ઉંચે ગુરુનું વિમાન, ત્યાંથી 3 યોજન ઉંચે મંગળનું વિમાન, ત્યાંથી 3 યોજન ઉંચે શનિનું વિમાન, આમ કુલ 110 યોજનમાં સંપૂર્ણ જ્યોતિષ ચક્ર આવેલ છે.
♦ સૂર્ય અને ચંદ્ર બંને દેવ વિમાન જ છે, અંદર દેવો રહે છે. આ વિમાનો રત્નથી બનેલા છે. સૂર્ય પોતે ઠંડો છે, પણ તેના રત્નો 'આતપનામ' કર્મના ઉદયે બીજાને ગરમી આપે છે. ચંદ્રના વિમાનના રત્નો 'ઉદ્યોતનામ ' કર્મના ઉદયે પ્રકાશ આપે છે.
♦ જમ્બૂદ્વીપમાં આવા બે સૂર્ય ને બે ચંદ્રો આવેલા છે. આજના સૂર્ય અને ચંદ્ર કાલે દેખાતા નથી,એકાંતરે આવે છે.
♦ જમ્બૂદ્વીપદ્વીપ માં સાત ક્ષેત્રો અને છ પર્વતો આવેલા છે.
     • સાત ક્ષેત્રો :- મહાવિદેહ,હરિવર્ષ,હિમવંત, ભરત, રમ્યક, હીરણયવંત,ઐરાવત.
     • સાત પર્વતો :- વૈતાધ્ય, વિજયાર્ધ, નીલવંત, મહાહીમવંત, લઘુહીમવંત, રુકિમી, શીખરી.
♦ ભરત ક્ષેત્રના બે ભાગ પડે છે - ઉત્તરાર્ધ, દક્ષિણાર્ધ. જેમાં દક્ષિણાર્ધમાં આપણી દુનિયા - પૃથ્વી આવેલી છે.

નંદીશ્વર દ્વીપ :-




જંબુદ્વિપથી 163 ક્રોડ 82 લાખ યોજન દૂર આઠમો દ્વીપ 16384 લાખ યોજન પ્રમાણ નંદીશ્વર નામનો છે. તેમાં સ્થાને પદ્માવર વેદીકાઓ, વનખંડો, વાવડીઓ, સર્વરત્ન ઉત્પાત પર્વતો, આસનો વગેરે આવેલા છે. આ દ્વીપની ચારે દિશામાં અને મધ્યમાં એક-એક અંજનગિરિ પર્વત આવેલાં છે. જે 84 હજાર યોજન ઊંચા છે. જે નિર્મળ અંજનરત્ન = શ્યામરત્નમય છે. દરેક ઉપર પદ્મવર વેદિકા અને વનખંડ હોવાથી રમણીય છે. વિશેષમાં ઉપરનાં મધ્યભાગમાં શાશ્વત જિનનું સિદ્ધાયતન = જિનભવન છે.

દરેક અંજનગિરિની ચારે દિશામાં આગળ એક લાખ યોજન દૂર જતાં એક લાખ યોજનના વિસ્તારવાળી ગોળાકાર સુંદર વાવડી છે. તે દરેકના મધ્યભાગમાં ઉંધા પ્યાલાના આકારવાળા સફેદ વર્ણના સ્ફટિકમય દધિમુખ પર્વત આવેલા છે. તે દરેક ઉપર શાશ્વત જિનનું ચૈત્ય આવેલું છે. આમ ચાર અંજનગિરિના ચારેય દિશાના 16 દધિમુખ પર્વત થાય છે.

દરેક દધિમુખ પર્વતની બંને બાજુ વાવડીના બહારના ભાગમાં વિદિશામાં બે-બે રતિકર પર્વત છે. અર્થાત્ 16 દધિમુખનાં ખુણામાં  બે-બે રતિકર પર્વત ગણતા 32 રતિકર પર્વતો છે. તે દરેક ઉપર શાશ્વતા જિનનું ભવન છે. જેમાં ઋષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન નામના શાશ્વત જિનબિંબ છે. એમ ચારે દિશામાં ગણતાં ચાર અંજનગિરિ, સોળ દધિમુખ અને બત્રીસ રતિકર પર્વત મળીને બાવન પર્વતો અને તે ઉપર બાવન ચૈત્યો(જિન મંદિર) છે. શ્રી જિનેશ્વર ભગવંતોના કલ્યાણક પ્રસંગે તથા શાશ્વતી-અશાશ્વતી અઠ્ઠાઈઓમાં ભવનપતિ, વ્યંતર,જ્યોતિષ અને વૈમાનિકના દેવો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. બાવન ચૈત્યોના આદર્શના આલંબન રૂપે આપણે ત્યાં બાવન જિનાલય નામના બાવન દેહરીવાળા દેરાસરો બનાવાય છે.

આ નંદીશ્વરદ્વિપમાં કુલ 8368 શાશ્વત જિનપ્રતિમાઓ છે, જે શાશ્વતી છે અને 500 ધનુષ્ય ઉંચી છે.

રતિકર પર્વતથી 1 લાખ યોજન દૂર અગ્નિ તથા નૈઋત્ય ખૂણામાં શક્રેન્દ્રની આઠ અગ્ર મહિમાઓની ચાર-ચાર રાજધાનીઓ છે. પ્રત્યેક 1 લાખ યોજન વિસ્તારવાળી છે. પ્રત્યેકમાં એક-એક જિનમંદિર છે. ત્યાર પછી નંદીશ્વર નામનો સમુદ્ર, જે 32768 લાખ યોજનનો છે. જેનું પાણી ઇક્ષુરસના સ્વાદવાળું છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger