ભગવાન મહાવીરે જ્યાં શાસન સ્થાપના કરી તે સ્થળ, ભગવાનને જ્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત 11 વિદ્વાન બ્રાહ્મણોને જ્યાં પ્રતિબોધ કરીને દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા તે સ્થળ,એટલે અપાપાપુરી (પાવાપુરી). આ સ્થળ અપાપા (પુણ્ય ભૂમિ)પુરીના નામથી પણ ઓળખાય છે.
વૈશાખ સુદ દશમના દિવસે જયારે ભગવાનને ઋજુવાલિકા નદીને કિનારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેમને ત્યાં જ પ્રથમ દેશના આપી હતી. આમ તો તીર્થંકર પ્રભુ જયારે પણ દેશના આપે તે ક્યારેય નિષ્ફળ જતી નથી, પણ પ્રભુ મહાવીરની આ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હતી, કારણકે તેમાં એક પણ કાળા માથાનો માનવી હાજર ન હતો.પ્રભુ ત્યાંથી વિહાર કરી પાવાપુરી આવ્યા અને અહી તેમને બીજા દિવસે વૈશાખ સુદ અગિયારસે શાસન સ્થાપના કરી અને ચાર પ્રકાર નો ધર્મ પ્રવર્તાવ્યો.
ભગવાન જયારે દેશના આપી રહ્યા હતા ત્યારે તે સ્થળ થી થોડે દુર ઇન્દ્રભૂતિ અને બીજા દશ વિદ્વાન બ્રાહ્મણો એક યજ્ઞ કરી રહ્યા હતા. તે જ સમયે દેવો દુરથી તેમને આવતા દેખાતા તેઓ મનમાં હરખાવા લાગ્યા કે "આપના આ યજ્ઞનો પ્રભાવ કેવો છે કે દેવો પણ દુર દુર થી અહી આવે છે." પણ જયારે તેમણે દેવોને પોતાના સ્થાન પાસેથી પસાર થઈને દુર જતા જોયા તો તેમને મનમાં પ્રશ્ન જાગ્યો કે "આ દેવો આ યજ્ઞ સ્થાન છોડીને આ બાજુ ક્યાં જાય છે?". ઇન્દ્રભૂતિ ગૌતમે ત્યાંથી પસાર થતા દેવોને વચ્ચે રોકીને પ્રશ્ન કર્યો કે "હે દેવો તમે આ બાજુ કયા જઈ રહ્યા છો?" ત્યારે દેવોએ કહ્યું કે "આ બાજુ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પધાર્યા છે." આ વાત સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમ ગૌતમ ધુઆપુઆ થઈ ગયો અને તે કહેવા લાગ્યો કે "આ વળી કોણ નવો પાખંડી આવ્યો છે, આ સકળ લોક માં મારા જેટલું જ્ઞાન ધરાવતું બીજું કોઈ છે જ નહિ તો આ મહાવીર ક્યાંથી આવી ચડ્યો છે ? લાવ હું જાવ છું અને હમણા જ એને વાદ માં હરાવી દઉં છું." આમ વિચારી તે પોતાના અભિમાનમાં ભગવાન મહાવીરનું સમવસરણ જ્યાં રચાયું હતું ત્યાં આવ્યો અને તે જોતાવેંત જ અભિભૂત થઈ ગયો અને પ્રભુની સામે જઈને હજુ તે ઉભો છે ત્યાં જ પ્રભુ તેની એક જ જે શંકા હતી તેનું નિવારણ લાવી દીધું. પોતાની શંકા નું નિવારણ થતા તેનું અભિમાન ઓગળી ગયું અને તેણે પ્રભુનું શરણ સ્વીકારી લીધું અને આ રીતે પ્રભુએ શ્રી ગૌતામસ્વામીને પોતાના પ્રથમ ગણધર પદે સ્થાપ્યા. તે પછી વારાફરતી બીજા દસ બ્રાહ્મણોની શંકાનું પ્રભુએ સમાધાન કરતા તેઓ પણ પ્રભુના ગણધર પદે સ્થપાયા.અને તેજ દિવસે પ્રભુએ શાસન સ્થપના કરી.
આસો વદ ચૌદસ નો એ દિવસ હતો જયારે પ્રભુ પાવાપુરીમાં હતા અને ત્યારે પોતાનો અંત સમય નિકટ જાણતા પ્રભુએ સળંગ બે દિવસ એટલેકે 16 પ્રહર દેશના આપી. તે દિવસે જેટલા જીવોએ એ દેશના સાંભળી તેમને છઠ્ઠ ના તપનો લાભ મળ્યો હતો,તેથી ત્યારથી લઈને આજ સુધી દિવાળીના દિવસે છઠ્ઠનો તપ કરવાનો મહિમા છે. ભાવિકો આસો વદ ચૌદસ અને અમાસ આ બંને દિવસોએ આરાધના કરવા આ પાવન ભૂમિ પર પધારે છે.
નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્દગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢો અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ધેત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.
જળ મંદિર :- આ સ્થળે પ્રભુ મહાવીરના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પ્રભુના પવિત્ર દેહની રાખ લેવા માટે દેવો અને માનવોનો એવો મહેરામણ ઉમટ્યો હતો કે આ સ્થળે કે મોટો વિશાળ ખાડો પડી ગયો.જે આજે "નોખૂર" અથવા "પદ્મ" સરોવરના નામે ઓળખાય છે. આ સરોવરની વચ્ચે દેવવિમાન જેવું અતિ સુંદર અને ભવ્ય "જળ મંદિર" શોભી રહ્યું છે. આ મંદિર સૌ પ્રથમ ભગવાનના ભાઈ નંદીવર્ધને બનાવ્યું હતું. મંદિર સુધી જવામાટે જે પુલ બનાવવામાં આવ્યો છે તેની લંબાઈ 600 મીટર છે. મંદિરમાં પ્રભુ મહાવીરના પાદુકાજી બિરાજમાન છે, અને આજુબાજુ શ્રી ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીના પાદુકાજી બિરાજમાન છે. કાળક્રમે અવારનવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો છે.
અહી વિશાળ ધર્મશાળા અને ભોજનશાળા છે. ધર્માંશાળના ચોગાનમાં જ પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણકના પ્રતિક સમું ભવ્ય દેરાસર છે.આ ધર્મશાળાથી લગભગ દોઢેક કિલોમીટર દૂર સમવસરણ મંદિર છે.આ સ્થળે પ્રભુનું અંતિમ સમવસરણ રચાયું હતું ને પ્રભુએ સતત સોળ પ્રહરની છેલ્લી દેશના આપી પ્રભુ નિર્વાણ પામ્યા હતા. નૂતન સમવસરણની પાછળ એક સ્તૂપ છે, જે મૂળ સમવસરણનું સ્થાન સૂચવે છે. સમવસરણ મંદિરની સામે નવું વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે, જેમાં ગણધર ભગવંતોની પ્રતિમા સ્થાપિત કરેલ છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.